———-
મહીસાગરના દિવડાની પીએમ શ્રી સ્કૂલમાં બાળકોના શાળા નામાંકનથી મુખ્યમંત્રીશ્રીએ શાળા પ્રવેશોત્સવના ૨૩માં ચરણનો પ્રારંભ કરાવ્યો
———–
:મુખ્યમંત્રી:
* વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં શરૂ કરાવેલા જન કલ્યાણ કાર્યક્રમો સફળતા એ પાર પડ્યા છે અને સુખદ પરિણામો મળ્યા છે.
* શાળા – શિક્ષક અને શિક્ષણની ત્રિવેણીની સજ્જતાથી શિક્ષણનો વ્યાપ વિસ્તારીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું ભાવિ તૈયાર કરવાની નેમ.
* વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવથી ડ્રોપ આઉટ રેટ ૧ ટકાથી નીચે લઈ જવામાં સફળતા મળી છે.
————–
શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ ૨૧મી સદીની શિક્ષણ ક્ષેત્રની મોટી ક્રાંતિ છે: શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર
————-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા, શિક્ષક અને શિક્ષણની ત્રિવેણીથી શિક્ષણનો વ્યાપ વધુને વધુ વિસ્તારીને સમાજ વિકાસ દ્વારા વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું ભાવિ તૈયાર કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ૨૦૦૩થી શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવના ૨૩માં ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ મહીસાગરના કડાણા તાલુકાની દિવડા પીએમ શ્રી સ્કૂલથી કરાવતા મુખ્યમંત્રીશ્રીએ આ નેમ દર્શાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક શાળા અને ધોરણ ૯માં બાળકોનું નામાંકન કરાવ્યું હતું અને શૈક્ષણિક કીટ ભેટ આપી તેમને શાળામાં આવકાર્યા હતા.
મુખ્યમંત્રી પ્રવેશ મેળવનારા બાળકો સાથે વડીલ વાત્સલ્ય ભાવે સહજ સંવાદ કરીને તેમના ઘર-પરિવારની વિગતો પણ મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલિન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં શરૂ કરાવેલા લોકહિતના બધા કાર્યક્રમો અપાર સફળતા પામ્યા છે અને તેના સુખદ પરિણામો જોવા મળે છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ ૨૦૦૩માં શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારે ડ્રોપ આઉટ રેઈટ ૩૫ ટકા જેટલો હતો તે ઘટાડીને ૦.૮૫ ટકા એટલે કે ૧ ટકાથી પણ નીચે લઈ જવામાં સફળતા મળી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે શાળામાં પ્રવેશ લેનાર બાળકો અભ્યાસ છોડી ન દે તેની પૂરતી કાળજી લીધી છે. પરિવારની આર્થિક તકલીફને કારણે અભ્યાસમાં અગવડ ન થાય તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાથી સરકાર આવા બાળકોની પડખે ઊભી રહે છે.
તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ નિયમિત શાળામાં આવે તેની દરકાર પણ સરકારે લીધી છે. એટલું જ નહીં, શિક્ષકો પણ જો કોઈ બાળક એકાદ દિવસ ગેરહાજર રહે તો તેના ઘરે જઈને ગેરહાજરીના કારણો જાણે છે. સરકારની વ્યવસ્થાઓમાં જન જનની ભાગીદારી હોય તો સૌને લાભ મળે અને સાથે જ ૧૦૦ ટકા પરિણામ આવે તેવા અભિગમથી તેમણે વાલીઓને પણ SMCમાં સક્રિય થવાનો અનુરોધ કર્યો હતો.
‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ’ ના મંત્રને ચરિતાર્થ કરીને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા તેમણે સૌને હાંકલ કરી હતી.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શુભારંભ પ્રસંગે કે શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, બાળકોના સર્વાંગી વિકાસ થાય તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૩ થી શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. પહેલાના સમયમાં ધો ૧ થી ૮ સુધીના ૩૫% ડ્રોપ આઉટ રેશિયો હતો તે આજે ઘટીને નહિવત થઇ ગયો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરાવેલ શાળા પ્રવેશોત્સવને આગળ ધપાવતા ગુજરાતમાં બાળકોનું ૧૦૦% નામાંકન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ થકી બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે તેમ તેમણે જણાવ્યું હતું.
દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે સ્વાગત ઉદબોધનમાં આદિજાતિ વિસ્તારમાં થયેલા શિક્ષણ ક્ષેત્રના અપ્રતિમ વિકાસની માહિતી આપી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગરે આભારવિધિ કરી હતી. વિદ્યારંભના આ ઉત્સવ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાઓનું સીએમશ્રી ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, પંચમહાલ સાંસદશ્રી રાજપાલસિંહ જાદવ, અગ્રણીશ્રી દશરથભાઈ બારીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થ, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અગ્રણીઓ, શાળાના બાળકો, વાલીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.