ડેડીયાપાડા લાફા કાંડમાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કર્યા બાદ રવિવારે (6 જુલાઈ) રાજપીપળાની ચીફ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે ચૈતર વસાવાના 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે, ચીફ કોર્ટે પોલીસની માંગણીને ફગાવી રિમાન્ડ નામંજૂર કર્યા હતા. ત્યારબાદ ચૈતર વસાવાએ મૂકેલી જામીન અરજી પણ કોર્ટે ફગાવી દઈને નર્મદામાં કાયદો અને વ્યવસ્થા જોખમાય નહી તે માટે ચૈતર વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યા હતા. વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચૈતર વસાવાનું મેડિકલ ચેકઅપ કરાયું હતું.
નર્મદા પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળાની ચીફ કોર્ટમાં રજૂ કરી તેઓ તપાસમાં સહકાર ન આપતા હોવાથી પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા. ચીફ કોર્ટે પોલીસની રિમાન્ડની માગણીને નામંજૂર કરી હતી. ત્યારબાદ ચૈતર વસાવાના વકીલે જામીન અરજી મૂકી હતી. કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી પણ ફગાવીને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. હવે ચૈતર વસાવાને જામીન લેવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરવી પડશે. સોમવારે (7 જુલાઈ) એ ચૈતર વસાવા જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરશે.
ડેડીયાપાડાના ધારાસભ્ય અને લાફા કાંડના આરોપી ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઈટાલિયાએ કોર્ટમાં દલીલો કરી જામીન માગ્યા હતા. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ‘ચૈતર વસાવાને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે વિવિધ પ્રકારના 14 જેટલા મુદ્દાના આધારે પાંચ દિવસ રિમાન્ડ માગ્યા હતા. જેની સામે સંયુક્ત રીતે અમે ત્રણ વકીલોએ દલીલ કરી હતી. ત્યારબાદ પોલીસની રિમાન્ડ અરજીને નામંજૂર કરી હતી. કારણ વગર ગંભીર કલમો લગાવવામાં આવી છે. જેને લઈ કાયદા અને કોર્ટની પ્રક્રિયામાં ફસાવી શકાય અને નામ બદનામ કરી શકાય. ભાજપના જ કેટલાક લોકો ગુનેગાર છે તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરાઈ નથી.’
પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કર્યા તે પહેલાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. પોલીસ અને આપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે AAPના નેતા ગોપાલ ઇટાલિયા, કાર્યકરો અને મીડિયાને કોર્ટમાં જતાં રોકતા મામલો બિચક્યો હતો. તેથી AAPના કાર્યકરો અને ગોપાલ ઇટાલિયાએ પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, “પોલીસ કાયદાનું માને કે ભાજપનું? કોર્ટ પ્રજાની છે, ભાજપની નહીં” તેમણે ઉમેર્યું હતું કે, “અદાલતમાં કોઈપણ માણસ જઈ શકે, ખુલ્લી અદાલત છે.” પોલીસે કોર્ટનો ગેટ બંધ કરી લોકોને અને મીડિયાને અંદર જતા રોક્યા હતા. જેને લઈને પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની હતી.
ખાનગી કારમાં આવેલી પોલીસે ગોપાલ ઈટાલિયાને કોર્ટમાં જતા રોક્યા હતા. તેથી ગોપાલ ઈટાલિયા અને કાર્યકરોએ પોલીસને સવાલ કર્યા હતા કે, ‘ઓપન કોર્ટમાં જતા રોકો છો, આ કેવી લોકશાહી?”, પોલીસને તાકીદ કરી હતી કે, “લોકોને કોર્ટમાં જવા દો, ભાગવાનું નથી. ખોટે ખોટી ફોન પર વાતો ન કરો. કોર્ટમાં જવા કોને પૂછવું પડે. એવો કયો કાયદો છે? હાઈકોર્ટમાં જવા માટે પણ નથી પૂછવું પડતું. આતંકવાદી હોય એમ ગેટ બંધ કરી દીધો છે.”
સમગ્ર મામલો શું છે?
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે શનિવારે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. તેથી સંજય વસાવાએ ચૈતર વસાવા સામે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ સમયે પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ત્યારબાદ ચૈતર વસાવાને રાજપીપળા સ્થિત એલબીસીની કચેરીમાં રાખવામાં આવતાં સમર્થકોએ મોડી રાત્રે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. તેથી સરકારને ભારે પોલીસ બંદોબસ્ત સાથે એસઆરપીની એક ટુકડી તૈનાત કરવાની ફરજ પડી હતી.