કચ્છ કેમિકલ કંપનીએ એ તાજેતરમાં નોંધાવેલી કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદના કારણે સીઆઇડી ક્રાઇમ ગુજરાત અને અનેક ઉચ્ચ IPS અધિકારીઓ વિવાદમાં આવ્યા છે. સીઆઈડી ક્રાઈમના તત્કાલિન વડા રાજકુમાર પાંડીયન ના કાર્યકાળ દરમિયાન વર્ષ 2023માં થયેલી અરજી તાજેતરમાં ફરિયાદમાં રૂપાંતરિત થયા બાદ તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાતો સામે આવી છે. સમગ્ર મામલામાં એડીશનલ ડીજી કક્ષાના અધિકારી તેમજ એક SP કક્ષાના અધિકારી સામે આંગળી ચિંધાઈ રહી છે. સીઆઇડી ક્રાઇમ ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગ માં બે વર્ષ પડી રહેલી અરજી અચાનક જ કેવી રીતે FIR માં તબદીલ થઈ.. વાંચો આખી સ્ટોરી
ભ્રષ્ટાચારની રજૂઆતો બાદ ઇન્સ્પેકશનનો નિર્ણય લેવાયો
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ને સીઆઈડી ક્રાઈમની ઇકૉનોમિક ઑફેન્સ વિંગમાં ભ્રષ્ટાચાર થતો હોવાની કેટલીક રજૂઆતો મળી હતી. CID Crime Vadodara Zone માં ગત 28 મેના રોજ કચ્છ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. અરજી ફરિયાદમાં તબદીલ થયાના બેએક દિવસ બાદ Gujarat DGP ને એક ફરિયાદ મળી હતી કે, આ મામલામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ ઉપરાંત અગાઉ પણ ભ્રષ્ટાચારની ફરિયાદો/રજૂઆત થઈ હતી. જેના પગલે વિકાસ સહાયે એ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય ને ઇકૉનોમિક ઑફેન્સ વિંગનું નિરિક્ષણ કરવા આદેશ આપ્યો હતો.
પરીક્ષિતા રાઠોડ રજા પર ગયા અને FIR દાખલ થઈ ગઈ
CID Crime Gujarat ના તત્કાલિન વડા રાજકુમાર પાંડીયનની ગત ડિસેમ્બર મહિનામાં બદલી થયા બાદ ખાલી પડેલા સ્થાનનો વધારાનો ચાર્જ DIG પરીક્ષિતા રાઠોડ ને અપાયો હતો. સીઆઈડી ક્રાઈમના જુદાજુદા વિભાગોમાં ઢગલાબંધ સાચી/ખોટી અરજીઓ પેન્ડીગ હતી. જેમાં કચ્છ કેમિકલ ની પણ એક અરજી વર્ષ 2023થી CID Crime EOW માં પડી હતી. ગત 19 મેથી 2 જૂન સુધી પરીક્ષિતા રાઠોડ રજા પર જતાં સીઆઈડી ક્રાઈમનો ચાર્જ મહિલા સેલના વડા અજય કુમાર ચૌધરી ને સોંપાયો હતો. ગત 28 મેના રોજ સીઆઈડી ક્રાઈમ વડોદરા ઝોન પોલીસ સ્ટેશનમાં રાતે કચ્છ કેમિકલ કંપનીના એક્સપોર્ટ મેનેજર પિયુષ પંચાલ કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવે છે. ફરિયાદ નોંધવા માટે ઇકોનોમિક ઓફેન્સ વિંગ ના પીએસઆઈ એસ. ડી. સિસોદીયા (S D Sisodiya PSI) એ કરેલી દરખાસ્તને ડીવાયએસપી અશ્વિન પટેલ (Ashwin Patel DySP), એસપી હિંમાશુ વર્મા (Himanshu Verma), ડીઆઈજી ક્રાઈમ-4 ચૈતન્ય માંડલિકે (Chaitanya Mandlik) આગળ ધપાવી હતી. આખરમા આખરે અજય ચૌધરીએ એ મંજૂરી આપી હતી. અત્રે નોંધનીય છે કે, ડીજીપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા પીએસઆઇ એસ ડી સિસોદીયાએ એ ફરિયાદ નોંધવાની દરખાસ્ત કરી હતી.
અજય ચૌધરી સહિતના IPS નો ભૂતકાળ વિવાદીત
ઑગસ્ટ-2022માં અમદાવાદ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી એ પોલીસ કર્મચારીઓની કરેલી બદલીઓએ વિવાદ સર્જ્યો હતો. રજા પરથી પરત ફરેલા સંજય શ્રીવાસ્તવે અજય ચૌધરીએ કરેલી હુકમો રદ કરી દીધા હતા. આ ઘટના તેમજ અન્ય મામલાઓને લઈને સરકારે તેમને સાઈડલાઈન કરી દીધા હતા. સંજય શ્રીવાસ્તવ એપ્રિલ-2023માં વય નિવૃત્ત થાય તે પહેલાં 1999 બેચના અજય ચૌધરીને બાકાત કરી ગૃહ વિભાગે તેમના જુનીયર 2005ની બેચના પ્રેમવીર સિંઘ ને અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો વધારોનો હવાલો સોંપ્યો હતો. CID Crime માં ફરજ બજાવતા IPS પણ ભ્રષ્ટાચાર સહિતના વિવાદમાં અગાઉ સપડાઈ ચૂક્યાં છે.
કચ્છ કેમિકલ માટે FIR કેમ જરૂરી હતી ?
કચ્છ કેમિકલ નો ઇ-મેઇલ થકી સંપર્ક કરી આફ્રિકન દેશમાં અનેક ઠગોએ કરોડો રૂપિયાનું કેમિકલ મંગાવી છેતરપિંડી કરી હતી. નવેમ્બર-2022 થી જૂન-2023ના સમયગાળામાં જુદીજુદી કંપનીઓના નામે આવેલા ઑર્ડર આધારે કરોડો રૂપિયાનું કેમિકલ કચ્છ કેમિકલએ એક્સપોર્ટ કર્યું હતું. તમામ ઑર્ડર આફ્રિકન ઠગ દ્વારા કરવામાં આવ્યા હોવાથી કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હતી. કેટલાંક કિસ્સામાં કેમિકલની હરાજી કરી વેચાણ કરવાથી નુકસાન આવ્યું હતું. તેમજ કેટલોક સ્ટૉક મોમ્બાસા પોર્ટ ખાતે પડ્યો રહેવાથી કૈલાશ ગોયેલની કચ્છ કેમિકલ કંપની ને 2.50 કરોડનો ડેમરેજ ચાર્જ ભરવો પડ્યો હતો. વિદેશમાં કરેલા વેપારની ડૉલરમાં લેવડ-દેવડ થઈ હોવાથી ભવિષ્યમાં નાણાકીય વ્યવહારને લઈને સેન્ટ્રલ એજન્સી સમક્ષ પક્ષ મુકવાનો થાય તો આધારભૂત દસ્તાવેજ તરીકે ફરિયાદ કામમાં આવે.
પોલીસ ભવનમાં બેસતા અધિકારીઓ ચર્ચામાં
કચ્છ કેમિકલ કંપનીએ વર્ષ 2023માં કરેલી અરજીમાં જે-તે વખતે પ્રાથમિક નાણાકીય વ્યવહાર થયો હોવાની ચર્ચા છે. બબ્બે વર્ષ સુધી FIR નહીં થતા કંપનીના કર્તાહર્તાએ ભૂતકાળમાં વડોદરામાં નોકરી કરી ચૂકેલા પરિચિત IPS નો સંપર્ક કર્યો હતો. ગાંધીનગર પોલીસ ભવન માં બેસતા એડીશનલ ડીજી કક્ષાના અધિકારી સાથે ઘરોબો ધરાવતા જુનીયર આઈપીએસએ નાણાકીય વ્યવહારની ઇકોનોમિક ઓફેન્સ વિંગ ના અધિકારી સાથે વાતચીત કરી ફરિયાદની ગોઠવણ કરાવી દીધી હતી. ફરિયાદ દાખલ થયા બાદ સાઈડલાઈન થયેલા બદનામ IPS અધિકારીએ કંપનીના કર્તાહર્તા પાસે ભ્રષ્ટાચારની ફરિયાદ કરાવી હોવાની પણ એક ચર્ચા સામે આવી છે. ફરિયાદ માટે લેવાયેલી લાખો રૂપિયાની લાંચમાંથી અડધોઅડધ રૂપિયા પરત અપાયા હોવાની વાત ગાંધીનગરથી આખા ગુજરાતમાં પહોંચી છે.ત્યારે આ મુદ્દે દિલ્હી સુધી ચર્ચા થઇ રહ્યા હોવાની વાત ચાલી રહી છે, અને સમગ્ર પોલીસ બેડના આઇપીએસ પણ આ મુદ્દે કઇ બોલવા તૈયાર નથી