વાંધાજનક પોસ્ટ કરવા બદલ સ્ટેટ સાયબર ક્રાઈમે કરી કોંગ્રેસ મહામંત્રી રાજેશ સોનીની અટકાયત
શક્તિસિંહ ગોહિલનો સરકારને પડકારઃ ‘તાકાત હોય તો અમને બધાને જેલમાં નાંખો’
ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની અટકાયતથી રાજકીય ગરમાવો આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ કરવાના આરોપ હેઠળ સ્ટેટ સાયબર ક્રાઈમે ધરપકડ કરતાં કોંગ્રેસના નેતાઓએ આકરી પ્રતિક્રિયા આપી છે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા X ઉપર ટ્વિટ કરીને સરકારને પડકાર ફેંક્યો છે કે ‘તાકાત હોય તો અમને બધાને જેલમાં નાંખો’.
ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની સ્ટેટ સાયબર ક્રાઈમે ગુરૂવારે મોડી રાત્રે અટકાયત કરી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની ગાંધીનગર સ્ટેટ સાયબર ક્રાઈમે અટકાયત કરી છે. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે માહિતી આપી હતી કે, BNS 152, 353A સહિતની કલમો હેઠળ સ્ટેટ સાયબર ક્રાઈમે લગાવી છે. સેનાનું મનોબળ તોડવા બદલ કોંગ્રેસ નેતા રાજેશ સોનીની ધરપકડ કરાઈ હોવનો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજેશ સોનીની અટકાયત બાદ કોંગ્રેસના નેતાઓ ગાંધીનગર સ્ટેટ સાયબર ક્રાઇમ કચેરી ખાતે પહોંચી ગયા હતા. રાજકીય પોસ્ટ મૂકવા બદલ રાજકીય કિન્નાખોરી રાખી કોંગ્રેસ નેતાની ધરપકડ કરાઈ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.
રાજેશ સોનીના સમર્થનમાં શક્તિસિંહ ગોહિલની પોસ્ટ…
રાજેશ સોનીના સમર્થનમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી સરકાર પર આક્ષેપ કર્યા છે. રાત્રે કોઈ આતંકવાદીને પકડવો હોય તે રીતે ચાર વાગે એક સામાજિક આગેવાન અને રાજકીય કાર્યકર્તા રાજેશભાઈ ટી. સોનીની સાઈબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમના દ્વારા મૂકાયેલી પોસ્ટને જોઈએ તો એમાં સ્પષ્ટ વાત માત્ર એટલી જ છે કે આપણી બહાદુર સેનાના સૈનિકોને તેમણે બતાવેલી બહાદુરીનો શ્રેય મળવો જોઈએ. જે પ્રજાની તિજોરીના પૈસા છે એ પબ્લિસિટીમાં વાપરવા જોઈએ નહીં. રાજકીય લાભ સિંદૂર ઓપરેશનના નામે લેવો જોઈએ નહીં. દેશના તમામ નાગરિકોના મનમાં આ વાત પડી છે કે જે બહાદુરીપૂર્ણ કામ આપણી સેના કરે છે તેનો શ્રેય સેનાને જ મળવો જોઈએ. જે રીતે સરકાર પબ્લિસિટી કરે છે તે જોતા સૈનિકોને શ્રેય મળશે નહીં તેની ચિંતા વ્યક્ત કરી છે . માત્ર સેના માટે અવાજ ઉઠાવે અથવા તો એમને શ્રેય નહીં મળે એની ચિંતા વ્યક્ત કરે તો એનાથી ગુનો કેવી રીતે બને ? સરકાર દ્વારા ગુજરાત પોલીસનો દુરુપયોગ કરી કેસો કરાવવાની નીતિ રહી છે. તેનો તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે ખૂબ ઉધડો લીધો હતો અને પોલીસની ભયંકર ટીકા કરી હતી. આશા રાખું છું કે પોલીસ ડહાપણ વાપરે અને રાજેશભાઈ સોની એ કોઈ આતંકવાદી નથી. એમની ભાવના સેનાને શ્રેય મળવો જોઈએ. એ સ્પષ્ટ છે ત્યારે તેમને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ. સેનાની પડખે સમગ્ર દેશ અને કોંગ્રેસ છે. જો માત્ર સેનાની તરફેણ કરવાથી ગુનો બનતો હોય તો મારા સહિત તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ સેનાની તરફેણમાં પોસ્ટ પણ મૂકશે અને અવાજ પણ ઉઠાવશે. તાકાત હોય તો અમને બધાને સરકાર જેલમાં નાંખે. સ્વ. મનમોહનસિંહજી વડાપ્રધાન હતા ત્યારે ભાજપના અનેક નેતા અને સમર્થક મનફાવે તેવી હલકી અને ખોટી બાબતો લખતા હતા. પરંતુ કેન્દ્રની કોંગ્રેસની કે રાજ્યોની સરકારે મૌલિક વાણી સ્વતંત્રતાને રોકવાનો કે કેસ કરવાનો પ્રયત્ન નહોતો કર્યો.
સેનાનું મનોબળ તોડતી પોસ્ટ હતીઃ ભાજપ
કોંગ્રેસના નેતા રાજેશ સોની ધરપકડ મુદ્દે ભાજપના પ્રવકતા યજ્ઞેશ દવેએ કહ્યું કે, કોંગ્રેસનાં નેતા પોસ્ટ સેનાનું મનોબળ તોડતી પોસ્ટ હતી. રાજકીય રીતે વ્યક્તિના વિરોધની વાત હોય પણ સેનાનું મનોબળ તૂટે એવું ક્યારેય ના હોય. નૈતિકતા વિરુદ્ધની પોસ્ટ કોંગ્રેસના નેતા કરી હતી. જે અંગે કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે. કોગ્રેસની શું મજબૂરી છે કે આવા નેતાઓને છાવરે છે.