ભારે વરસાદના કારણે ફસાયેલા તલગાજરડાની શાળાના 38 બાળકોનો સરકારના તંત્રની સમયસૂચકતા અને ત્વરિત મદદથી બચાવ થયો
——
ભારે વરસાદથી ફસાયેલા અન્ય 20 જેટલા વ્યક્તિઓને પણ રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડાયા
—–
અમરેલીમાં પાણી પુરવઠાની સાઇટ પર ફસાયેલા 22 નાગરિકોનો બચાવ
—
ભાવનગરમાં ભારે વરસાદના કારણે રૂપાવો નદીમાં પાણીનું સ્તર વધતા તલગાજરડાની મહુવા મોડેલ સ્કૂલ બસમાં સવાર 38 વિદ્યાર્થીઓ ફસાયા હતા. જિલ્લા તંત્રએ સમયસૂચકતા અને ત્વરિત મદદ પહોંચાડીને 38 વિદ્યાર્થીઓ સહિત અન્ય 20 લોકોનો બચાવ કર્યો હતો.
તલગાજરડાની મહુવા મોડેલ 38 વિદ્યાર્થીઓ સાથેની સ્કૂલ બસ રૂપાવો નદી પાસે પહોંચતા ડ્રાઇવર શ્રી સાકીરભાઈએ નદીમાં પાણીનું ઊંચુ સ્તર જોયું. ડ્રાઈવર શ્રી સાકીરભાઈએ સત્વરે બસને ઝડપથી નજીકના ફાર્મહાઉસમાં આશરો આપ્યો હતો. થોડી વારમાં ઉપરના વિસ્તારમાં ભારે વરસાદને કારણે, પાણીનું સ્તર વધવાની સાથે જોખમ પણ વધ્યું.
આ અંગે જિલ્લા તંત્રને જાણ કરતા જિલ્લા કલેક્ટર, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM), મામલતદાર અને ASI સહિત સ્થાનિક પોલીસ અધિકારીઓ બચાવ બોટ સાથે સ્થળ પર દોડી ગયા હતા. તેમજ જરૂર પડે તો એરલિફ્ટિંગ માટે હેલિકોપ્ટર પણ સ્ટેન્ડબાય રખાયા હતા.
તંત્ર દ્વારા સ્થાનિક તરવૈયાઓ અને બચાવ ટીમોથી મદદથી 38 વિદ્યાર્થીઓ અને બસ ડ્રાઇવરને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. તેમજ નજીકના અન્ય સ્થળે ફસાયેલા 20 જેટલા વ્યક્તિઓને પણ રેસ્કયુ કરી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત અમરેલીના રાજુલા તાલુકાના પીપાવાવ અને વિકટર ગામ વચ્ચે પાણી પુરવઠાની સાઇટ પર ફસાયેલા 22 નાગરિકોને અમરેલી જિલ્લા વહીવટી તંત્રની સચેત અને સમયબદ્ધતાથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતા.
પાણી પુરવઠાની સાઇટના સ્થળ પર પહોંચવાના કાચા માર્ગમાં પાણી ભરાઈ ગયું હતું. કોસ્ટ ગાર્ડ ટીમ દ્વારા ત્રણ બોટમાં ફસાયેલા નાગરિકોનું રેસ્ક્યુ કરીને વિકટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા.