GCAS પોર્ટલ પર વિદ્યાર્થીઓ એક જ અરજી દ્વારા રાજ્યની વિવિધ યુનિવર્સિટીના
એક કરતા વધુ પ્રોગ્રામ્સ – કોલેજોમાં પ્રવેશ માટેની અરજી ઘર બેઠા કરી શકે છે.
—
* 2025-26ના ધો,12માં ઉતિર્ણ થયેલા 4.21 લાખ વિદ્યાર્થીઓમાંથી 3.15 લાખ વિદ્યાર્થીઓએ સ્નાતક કક્ષાએ પ્રવેશ માટે અરજી વેરિફાઈ કરાવી, 1.27 લાખ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા.
* બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે પ્રવેશનો આગામી રાઉન્ડ 21 જૂનથી શરૂ કરી, 3 જૂલાઈ સુધીમાં પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરાશે.
* અનુસ્નાતક કક્ષાના પ્રવેશ માટે 21.60 ટકા વિદ્યાર્થીઓએ પોર્ટલ મારફતે પ્રવેશ કન્ફર્મ કરાવ્યો.
* પ્રવેશના બિજા તબક્કા માટેનું સંપૂર્ણ ફોર્મ ફિલિંગ 1 જૂલાઈ, 2025 સુધી કરી શકાશે, પ્રવેશ કાર્યવાહી 8 જૂલાઈથી શરૂ થશે.
* પ્રવેશના પ્રથમ તબક્કામા અરજી કરી હોય તેવા વિદ્યાર્થીઓ અરજીમાં સુધારો – પોતાની યુનિવર્સિટી-કોલેજ-પ્રોગ્રામની ચોઈસ બદલવા ઈચ્છતા હોય તો તા.2 અને 3 જૂલાઈ દરમિયાન કરી શકશે.
—-
રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ (GCAS) પોર્ટલના માધ્યમથી સ્નાતક અને અનુસ્તાક કક્ષાએ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે એક સાથે અરજી કરી શકાય છે.
રાજ્યના વિદ્યાર્થીઓ ઘર બેઠા એક જ અરજીથી વિવિધ યુનિવર્સિટીઓના એક કરતા વધુ પ્રોગ્રામ-કોલેજમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકે છે. એટલુ જ નહીં, વિદ્યાર્થીઓને તેની પસંદગીની તમામ કોલેજોમાં સંબંધિત યુનિવર્સિટીના નિયમ અનુસાર પ્રવેશ ઓફર થાય છે.
વિદ્યાર્થીને મળેલી પ્રવેશ ઓફરની આવી જાણકારી, પ્રવેશ કન્ફર્મ કરાવવાની તારીખો તથા પ્રવેશ અંગેની જરુરી તમામ વિગતો અંગે સમયસર જાણકારી મળી શકે તે માટે નિયમિત રીતે એસ.એમ,એસ. અને વોટ્સ એપ મેસેજ પણ કરવામાં આવે છે.
રાજ્યમાં સ્નાતક કક્ષાએ અભ્યાસક્રમોમાં પ્રવેશના પ્રથમ તબકક્માં ગુજરાત યુનિવર્સિટીના વિવિધ પ્રોગ્રામ્સ માટે 56005 વિદ્યાર્થીઓએ ચોઈસ આપી હતી. તેમાંથી યુનિવર્સિટીના મેરીટ નિયમ મુજબ 34911 વિદ્યાર્થીઓને ઓફર આપવામા આવી હતી. તે પૈકીના 16171 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે.
રાજ્યના ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા આ વિગતો આપવા ઉપરાંત ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ બાબતોની માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, 2025-26ના શૈક્ષણિક વર્ષમાં 4,21,374 વિદ્યાર્થીઓએ ધો,12ની પરીક્ષા ઉતિર્ણ કરી છે તેમાંથી 3,15,791 વિદ્યાર્થીઓએ અત્યારસુધીમાં GCAS પોર્ટલમાં તેમની અરજી વેરિફાઈ કરાવી છે તેમાંથી 1,26,693 વિદ્યાર્થીઓએ પોતાના પ્રવેશ કન્ફર્મ કરાવ્યા છે.
બાકી રહેલા 1,89,098 વિદ્યાર્થીઓ માટે પ્રવેશનો આગામી રાઉન્ડ શનિવાર, તા. 21 જૂનથી શરૂ થશે અને પ્રવેશ કાર્યવાહી 3 જૂલાઈ, 2025 સુધીમા પૂર્ણ કરવામાં આવશે.
GCAS પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયા સંબંધિય યુનિવર્સિટીના નિયમોને આધિન રહીને કરવામા આવે છે તથા આવી પ્રવેશ પ્રક્રિયામાં એલિજિબિલીટી કે મેરીટના નિયમો નક્કી કરવામા GCASની કોઈ ભૂમિકા નથી તેમ પણ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું છે.
અનુસ્નાતક કક્ષાના પ્રવેશ સંદર્ભમાં આ કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શૈક્ષણિક વર્ષ 2025-26થી GCAS પોર્ટલ મારફતે અનુસ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટે પ્રથમ તબક્કાનો પ્રથમ રાઉન્ડમાં 19 જૂન 2025 સુધીમાં 9,793 વિદ્યાર્થીઓએ તેમનો પ્રેવશ કોઈપણ યુનિવર્સિટી-કોલેજ ખાતે કન્ફર્મ કરાવ્યો છે.
અનુસ્નાતક કક્ષાના પ્રવેશ માટે યુનિવર્સિટી કે કોલેજ દ્વારા પ્રથમ તબક્કામાં વેરીફાઈ થયેલા કુલ 45,341 વિદ્યાર્થીઓમાંથી 31,299 વિદ્યાર્થીઓને ઓફર્સ આપવામાં આવી હતી. વેરિફાઈડ થયેલા વિદ્યાર્થીઓના 21.60 ટકા વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ મારફતે તેમનો પ્રવેશ કન્ફર્મ કરાવી લીધો છે. અનુસ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમમોમાં પ્રવેશ માટેના પ્રથમ તબક્કાનો પ્રથમ રાઉન્ડ 20 જૂન,2025ના પૂર્ણ થશે.
ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા અનુસ્નાતક (PG) કક્ષાના પ્રોગ્રામ્સમાં પ્રવેશના બીજા તબક્કા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 19મી જૂનથી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ આ બીજા તબક્કાનું સંપૂર્ણ ફોર્મ ફિલિંગ 1 જૂલાઈ સુધી કરી શકાશે. જે વિદ્યાર્થીઓ એ પ્રવેશના પ્રથમ તબક્કામા અરજી કરી હોય અને આવી અરજીમાં સુધારો કરવા ઈચ્છતા હોય, પ્રથમ તબક્કામા પ્રવેશ રદ કરાવ્યો હોય, પોતાની યુનિવર્સિટી-કોલેજ-પ્રોગ્રામની ચોઈસ બદલવા ઈચ્છતા હોય તો તે તા.2 અને 3 જૂલાઈ દરમિયાન કરી શકાશે.
અનુસ્નાતક (PG) કક્ષાના પ્રોગ્રામ્સમાં પ્રવેશના બીજા તબક્કામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ 19 જૂન 2025 થી 4 જૂલાઈ સુધીમા પોતાને લાગુ પડતા કિસ્સામાં અરજીઓ વેરિફાઈ કરાવવાની રહેશે તથા બીજા તબક્કાના પ્રવેશની કાર્યવાહી 8 જૂલાઈ, 2025થી શરૂ થશે તેમ પણ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.