અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતો રાજ્ય મંત્રીમંડળનો શોકદર્શક પ્રસ્તાવ
**
તા. 12મી જૂન, 2025ના દિવસે બપોરે અમદાવાદથી લંડન જવા ઉડાન ભરેલા એર ઇન્ડિયાના વિમાનની ભયાવહ દુર્ઘટનાએ દેશ અને દુનિયાને સ્તબ્ધ કરી મૂક્યા છે.
ઉડાન ભર્યાની ગણતરીની ક્ષણોમાં જ અમદાવાદ એરપોર્ટ નજીકના વિસ્તારમાં જ તૂટી પડેલા આ વિમાનમાં સવાર યાત્રિકો, મુસાફરોના તેમજ જે વિસ્તારમાં તે તૂટી પડયું હતું. તે રહેણાંક વિસ્તારના કેટલાક ડોક્ટરો સહિત નિર્દોષ લોકોના અકાળે મૃત્યુ થયા છે.
રાજ્ય મંત્રીમંડળની આ બેઠક સૌનું હૈયું હચમચાવી મુકે તેવી આ વિમાન દૂર્ઘટના અંગે ઊંડા આઘાત અને શોકની લાગણી વ્યક્ત કરે છે.
પરમ કૃપાળુ પરમાત્મા આ દુર્ઘટનામાં અકાળે મૃત્યુ પામેલા સૌ દિવંગત આત્માઓને શાંતિ આપે તેમજ તેમના પરિવારજનો પર આવી પડેલું આ દુઃખ સહન કરવાની તેમને શક્તિ આપે અને ધૈર્ય બક્ષે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરે છે.
દુર્ઘટનામાં જે નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે તેમનું સૌનું સ્વાસ્થ્ય પણ સત્વરે સારું થાય અને તેઓ પુનઃ પૂર્વવત જીવન જીવતા થાય તે માટે પણ ઈશ્વરને પ્રાર્થના કરે છે.
અસરગ્રસ્ત પરિવારોની આ કપરી વેળાએ રાજ્ય સરકાર સંપૂર્ણ સહાનુભૂતિ અને સંવેદના સાથે તેમની પડખે ઉભી છે.
વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બધાં જ સદગત આત્માઓની પરમ શાંતિ માટે રાજ્યમંત્રી મંડળે બે મિનિટનું મૌન પાળીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
*****
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણીને ભાવભરી શ્રદ્ધાંજલિ આપતો શોક પ્રસ્તાવ પસાર કરાયો
સદ્દગત વિજયભાઈને રાજ્ય મંત્રીમંડળે બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ સાથે પરમાત્માને દિવંગત આત્માની શાંતિની પ્રાર્થના કરી
**
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓની મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને અગ્રણી સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણીના અવસાન અંગે ઊંડા ખેદ અને દુ:ખની લાગણી વ્યકત કરવામાં આવી હતી.
રાજ્ય મંત્રીમંડળે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણીને ભાવસભર શ્રદ્ધાંજલી આપતો શોક પ્રસ્તાવ આ બેઠકમાં પસાર કર્યો હતો
રાજ્ય મંત્રીમંડળે પસાર કરેલ શોક પ્રસ્તાવ અક્ષરશ: આ મુજબ છે:-
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના અગ્રણી નેતા શ્રી વિજયભાઈ રૂપાણીનું તા.૧૨/૦૬/૨૦૨૫ના રોજ ૬૮ વર્ષની વયે અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં થયેલા દુઃખદ અવસાનથી રાજ્ય સરકાર ઊંડાખેદની લાગણી અનુભવે છે.
શ્રી વિજયભાઈ રૂપાણીનો જન્મ ૦૨ ઓગસ્ટ,૧૯૫૬ના રોજ બર્માના રંગૂન શહેર(હાલમાં મ્યાનમાર) ખાતે થયો હતો.
તેમણે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાંથી સ્નાતક થયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. તેઓ વિદ્યાર્થીકાળમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલા હતા. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રચારક પણ રહ્યા હતા. ત્યારબાદ વર્ષ ૧૯૭૧માં તેઓએ ભારતીય જનસંધ સાથે પોતાની રાજકીય કારકીર્દીની શરૂઆત કરી હતી. આપાતકાળ દરમિયાન તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો.
સ્વ. શ્રી વિજયભાઈ જાહેર જીવનની તેમની કારકિર્દી દરમિયાન રાજકોટ શહેરના મેયર, ૨૦૦૬થી ૨૦૧૨ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યાં હતા. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. તેમજ હાલમાં તેઓશ્રી પંજાબ અને ચંદીગઢ ભારતીય જનતા પાર્ટીના પ્રભારી તરીકે સંગઠનમાં સેવાઓ આપી રહ્યાં હતા.
રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે સ્વ. શ્રી વિજયભાઈએ વર્ષ ૨૦૧૪થી ૨૦૧૬ દરમિયાન સેવાઓ આપી હતી. ગુજરાત રાજ્યના ૧૬માં મુખ્યમંત્રીશ્રી તરીકે તેમણે ઓગસ્ટ, ૨૦૧૬થી સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી સેવાઓ આપી હતી.
સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળમાં તાઉ-તે વાવાઝોડા, કોરોના મહામારી જેવી કુદરતી આફતોમાં રાહત અને બચાવની કામગીરીમાં સફળ નેતૃત્વ પુરૂં પાડીને શ્રેષ્ઠ ઉદાહરણ સ્થાપિત કર્યું હતું.
તેમણે રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ તેમજ સર્વાંગી વિકાસ અને છેવાડાના લોકો માટે અનેક નીતિઓ, કાર્યક્રમો અમલમાં મૂક્યાં હતા. તેમણે રાજકારણ અને સામાજિક ક્ષેત્રના દરેક તબક્કે લોકસેવાને પ્રાધાન્ય આપ્યું હતું. ગુજરાત મુખ્યમંત્રીશ્રી તરીકે રાજ્યના અવિરત વિકાસમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન ગુજરાત હંમેશા યાદ રાખશે.
તેમની ચિરવિદાયથી ગુજરાતના રાજકીય અને સામાજિક જીવનમાં મોટી ખોટ પડી છે. સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણીના અવસાન અંગે રાજ્ય મંત્રીમંડળ, ગુજરાતની જનતા અને સરકાર ઊંડા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરે છે અને તેમના દિવંગત આત્માને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
આજની બેઠકમાં મંત્રીમંડળે સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણીના આત્માને પરમ શાંતિ મળે એવી પ્રભુ પ્રાર્થના સાથે બે મિનિટનું મૌન પાળી સ્વર્ગસ્થશ્રીને ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પી હતી.