PM નરેન્દ્ર મોદી રાજકોટ, મોરબી જિલ્લા તથા અન્ય જિલ્લાના ₹ 7710 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
રાજકોટમાં ₹ 4309 કરોડ જ્યારે મોરબીમાં ₹ 2738 કરોડના તથા 663 કરોડના અન્ય જિલ્લાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
રાજકોટના ગઢકામાં 119 એકરમાં 20 લાખ લિટર પ્રતિ દિવસની ક્ષમતાવાળા અમુલના પ્લાન્ટનું ખાતમુહૂર્ત
મોરબીમાં, મેડીકલ કોલેજ, ફોરલેન રોડ, રેલવે ઓવરબ્રિજ, નવી જિલ્લા કોર્ટ કચેરી સહિતના વિકાસકાર્યો
*
રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ, સાયન્સ મ્યુઝિયમ, રોડ રસ્તા, બ્રિજ, જીઆઇડીસી, રેલવે અને ગતિશક્તિ ટર્મિનલ સહિતના વિકાસકાર્યોની ભેટ
19 ઓક્ટોબર 2022ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ અને મોરબી તથા અન્ય જિલ્લામાં ₹ 7710 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજકોટ જિલ્લાને અમુલ પ્લાન્ટ સહિત કુલ ₹ 4309 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ મળશે, જ્યારે મોરબી જિલ્લામાં વડાપ્રધાન ₹ 2738 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે. તેમજ અન્ય જીલ્લાના ₹ 663 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે. છેલ્લા એક વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે અને વિવિધ ક્ષેત્રે સુવિધાઓ વિકસિત કરવા માટે જરૂરી આધાર નિર્માણ કર્યો છે. તેના લીધે ગુજરાતની વિકાસયાત્રા અવિરતપણે ચાલી રહી છે.
રાજકોટના વિકાસકાર્યો
રાજકોટમાં જે વિકાસકાર્યોનું લોકાર્પણ થવાનું છે તે આ પ્રમાણે છે: લાઇટ હાઉસ પ્રોજેક્ટ, હોસ્પિટલ ચોક બ્રિજ, રામાપીર ચોકડી બ્રિજ, નાનામવા બ્રિજ, સાયન્સ મ્યૂઝિયમ, મેજર બ્રિજ સાથેનો 4-લેન પરાપીપળીયા રોડ , આરએમસી બાઉન્ડ્રી(જામનગર રોડ) થી AIIMS સુધીનો 6-લેન ડીપી રોડ અને. લોકાર્પણ કાર્યો કુલ ₹336 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે.
તે સિવાય વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં આ કાર્યોનો સમાવેશ થાય છે: જેતપુર-ગોંડલ-રાજકોટ 6 લેનના રોડને પહોળો કરવામાં આવશે. ગઢકા ખાતે અમુલનો પ્લાન્ટ, GIDC (નાગલપર, ખીરસરા-2, પીપરડી, તથા અન્ય જીઆઈડીસીઓ), રેલવેમાં પેસેન્જર સુવિધાઓ, ગોંડલ અને મચ્છુ-1ની રિમોડલીંગ વોટર સપ્લાય સ્કીમ, રાજકોટ શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નિર્મલા રોડ પર ફાયર સ્ટેશન, ભીમનગર બ્રિજ મોટા મવા બ્રિજને પહોળો કરવાની કામગીરી, ભાદર નદી પર એપ્રોન અને બન્ને તરફ સુરક્ષાની કામગીરી, કુંઢેચ ચેકડેમ પર રિપેર અને સુરક્ષાની કામગીરી અને વડલા ચેકડેમ નિર્માણ, મોવિયા-શિવરાજગઢ રોડ અને ખાંભલા-વાજડી-વેજાગામ રોડ સહિતના તેમજ અન્ય કાર્યો સામેલ છે. કુલ ₹5762 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
અન્ય વિકાસકાર્યોની જાહેરાત
રાજકોટમાં રેલવે સહિત પંચાયત, સહકાર, સ્વાસ્થ્ય અને રોડને લગતા વિવિધ ₹ 649 કરોડના વિકાસકાર્યોની જાહેરાત કરવામાં આવશે. જેમાં રેલવેમાં રાજકોટ-જામનગર સ્ટેશન રિડેવલપમેન્ટ, મકાનસર ગતિ શક્તિ ટર્મિનલની જાહેરાત થશે. તે સિવાય ગોંડલમાં ટેક્નોલોજી હબ સેન્ટર, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ રોડનો વિકાસ, ગોમતા-નિલખા-ભાદર ડેમ રોડ પહોળો કરવાની કામગીરી, લિલખા-દેવલા-સુલતાનપુર રોડને પહોળો કરવાની કામગીરી, રંગપર પાસે નદી પરના પુલનું પુન:નિર્માણ, રાજકોટમાં ચિલિંગ અને ઓટોમેશન ડેરી પ્લાન્ટનું વિસ્તરણ તેમજ વિસામણ અને ભરૂડીમાં 66 કેવી સબસ્ટેશનનો સમાવેશ થાય છે. તે સિવાય ઢેબર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે.
મોરબીમાં ₹ 2738 કરોડના ખર્ચે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા જાહેરાત
મોરબીમાં મેડીકલ કોલેજ, મોરબી-હળવદ રોડ તથા મોરબી-જેતપર રોડને ચાર લેન કરવાની કામગીરી, નવી જિલ્લા કોર્ટ બિલ્ડિંગ, સરકારી ક્વાર્ટર અને ઓફિસર્સ રહેણાકો તેમજ ટંકારામાં નવી કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ કરવાના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તે સિવાય વાંકાનેર-નવલખી રેલવે લાઇન પર રેલવે ઓવરબ્રિજ નિર્માણની જાહેરાત કરવામાં આવશે.
19-21 ઓક્ટોબર દરમિયાન રાજકોટમાં અર્બન હાઉસિંગ કોન્ક્લેવ યોજાશે
લાભાર્થીઓને સસ્તા દરે, મજબૂત અને ગુણવત્તાસભર આવાસ મળે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વિશ્વના છ દેશોની બાંધકામ ટેક્નોલોજીને પસંદ કરવામાં આવી છે. રાજકોટમાં આ અદ્યતન ટેક્નોલોજીની મદદથી આવાસનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. તે સંદર્ભે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં 19 થી 21 ઓક્ટોબર દરમિયાન અર્બન હાઉસિંગ કોન્ક્લેવ યોજાશે. આ કોન્ક્લેવમાં વિશ્વભરના ટેક્નોલોજી પ્રદાતાઓ, અન્ય રાજ્યોના શહેરી વિકાસ મંત્રી, સચિવો તેમજ અધિકારીઓ ,કોન્ટ્રાક્ટર્સ, શૈક્ષણિક સંસ્થાઓ, આર્કિટેક્ટ, સ્થાનિક કારીગરો અને અન્ય પ્રોફેશનલ્સ સામેલ થશે. અહીં બાંધકામને લગતી ટેક્નોલોજી વિશેની માહિતી, તેના પ્રશ્નો અંગે ચર્ચા અને અન્ય બાબતો વિશે સંવાદ કરવામાં આવશે. સ્થાનિક લોકો પણ અહીં ટેક્નોલોજીને લગતું પ્રદર્શન નિહાળી શકશે.