વંગડી ડેમ મુદ્દે AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કર્યું જળ હવન
વંગડી ડેમના જળ હવનમાં ઈસુદાન ગઢવીની સાથે અનેક ગામના ખેડૂતો જોડાયા
અમારી માંગ છે કે સરકાર વંગડી ડેમનું કામ એક વર્ષમાં પૂરું કરે: ઈસુદાન ગઢવી
સરકાર ખેડૂતોને પૂરતું વળતર ચૂકવે: ઈસુદાન ગઢવી
ભ્રષ્ટાચાર કરવા માટે અને કરોડોના બ્રિજ બાંધવા માટે સરકાર પાસે પૈસા છે, પરંતુ ડેમનું કામ પૂરું કરવા માટે સરકાર પાસે પૈસા નથી: ઈસુદાન ગઢવી
જો સરકાર એક મહિનામાં વંગડી ડેમનું કામ શરૂ નહીં કરે તો દ્વારકા જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ અમે થવા દઈશું નહીં: ઈસુદાન ગઢવી
અમદાવાદ/દેવભૂમિ દ્વારકા/ગુજરાત
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા આજે વંગડી ડેમ ખાતે જળ હવન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારી, કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, ખેડૂત નેતા પરેશ ગોસ્વામી સહિત અનેક પ્રદેશના નેતાઓ, સ્થાનિક AAP નેતાઓ, સ્થાનિક આગેવાનો, ખેડૂત આગેવાનો આ જળ હવન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૮ વર્ષથી વંગડી ડેમનું કામ અધૂરું પડ્યું છે. આ કામ અધૂરું છે તેના કારણે અનેક ગામોના હજારો ખેડૂતો સિંચાઈથી વંચિત છે અને અનેક ખેડૂતોને હજુ સુધી વળતર પણ મળ્યું નથી. કેશુ બાપાની સરકારે આ ડેમનું કામ શરૂ કર્યું હતું અને આજે આટલા વર્ષો બાદ પણ કાઢીઆનું કામ બાકી છે. હું જ્યારે પત્રકાર હતો ત્યારે પણ આ ગામના ખેડૂતો સહિત અને આગેવાનોએ મળીને મુખ્યમંત્રીની રજૂઆત કરવા ગયા હતા પરંતુ સરકાર ટસની મસ ન થઈ. સરકારને એક બ્રિજ બનાવવો હોય તો 200થી 250 રૂપિયા તેઓ ફાળવી દે છે. 2000 કરોડના ભ્રષ્ટાચાર કરી નાખવામાં આવે છે, પરંતુ સરકાર 54 જેટલા ખેડૂતોને પૂરતું વળતર પણ આપવા માટે તૈયાર નથી. જો આ કામ પૂરું થાય તો આઠ ગામોને સિંચાઈનું પાણી મળી શકે એમ છે અને બીજા 15 ગામોના તળ ઊંચા આવે તેમ છે જેનાથી આ લોકો ત્રણ ઉપજ લઈ શકે તેમ છે. જો હજારો ખેડૂતો ત્રણ વખત ઉપજ લે તો આ તમામ લોકોને કરોડો નહીં આવક થઈ શકે તેમ છે માટે આ ડેમનું કામ જલ્દીમાં જલ્દી પૂરું કરવું ખૂબ જ જરૂરી છે.
માટે આજે અમે લોકોએ સરપંચો, ઉપસરપંચો, પૂર્વ સરપંચો, વંગડી ડેમ માટે વર્ષોથી લડતા આગેવાનો ખેડૂત આગેવાનો અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ સાથે મળીને જળહવન કર્યું છે અને આની સાથે અમે માંગ પણ સરકાર સમક્ષ મૂકી રહ્યા છીએ. અહીંયા એક વીઘા જમીનના ભાવ 15 થી 20 લાખ રૂપિયા બોલાઈ રહ્યા છે ત્યાં ખેડૂતોને 15000 રૂપિયા આપવામાં આવે તે કઈ રીતે ચલાવી શકાય? માટે અમારી પહેલી માંગ છે કે ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે અને કાઢીઆનું કામ પૂરું કરવામાં આવે. અમારી બીજી માંગ છે કે આ વગડી ડેમનું કામ એક વર્ષમાં પૂરું કરી દેવામાં આવે એ પણ આવતા ઉનાળા પૂરું થઇ જાય તે ખુબ જ જરૂરી છે. આજનો કાર્યક્રમ તો ફક્ત શરૂઆત છે, આવનારા સમયમાં અમે વધુ કાર્યક્રમો કરીશું અને ગામેગામ જઈશું. જો એક મહિનામાં મુખ્યમંત્રી નિર્ણય નહીં લે તો આગામી સમયમાં અમે વધુ જલદ કાર્યક્રમો કરીશું. 15 ગામના ખેડૂતો સાથે આજે અમે સંકલ્પ લીધો છે કે વંગડી ડેમનું કામ સરકાર નહીં કરે તો આગામી સમયમાં દ્વારકા જિલ્લામાં એક પણ જગ્યા પર ઈસુદાન ગઢવી સરકારના કાર્યક્રમમાં થવા દેશે નહીં.