રાજકોટ ખાતે આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં અરવિંદ કેજરીવાલ અને ઈસુદાન ગઢવીએ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી.
વિજય રૂપાણીજીના દુઃખદ અવસાનથી લોકોને ખૂબ જ મોટો આઘાત પહોંચ્યો હતો: અરવિંદ કેજરીવાલ
શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વિજય રૂપાણીજીના પત્ની, તેમના પુત્ર અને તેમના પરિવારના અન્ય લોકોને મળ્યો અને મેં મારી સંવેદના વ્યક્ત કરી: અરવિંદ કેજરીવાલ
હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન વિજયભાઈ રૂપાણીની આત્માને શાંતિ આપે અને પોતાના ચરણોમાં સ્થાન આપે: અરવિંદ કેજરીવાલ
અમદાવાદ/રાજકોટ/ગુજરાત
તારીખ 12 જુનના રોજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં અવસાન થયું હતું. ત્યારબાદ આજે રાજકોટ ખાતે વિજયભાઈ રૂપાણીની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું હતું. આ શ્રદ્ધાંજલિ સભામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ, ટ્રેડ યુનિયન અધ્યક્ષ શિવલાલભાઈ બારસિયા અને રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી રાજકોટ પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલ અને ઇસુદાન ગઢવીએ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી અને ત્યારબાદ તેમના પત્ની, દીકરી અને દીકરાને મળીને સાંત્વના પાઠવી હતી.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું, અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ 12 જુનના રોજ ક્રેશ થઈ હતી, જેમાં 240થી વધારે લોકોના મૃત્યુ થયા હતા. આ ખૂબ જ ખોફનાક અને દર્દનાક દુર્ઘટના હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીજી પણ આ જ વિમાનમાં યાત્રા કરી રહ્યા હતા અને જેના કારણે વિજય રૂપાણીજી સ્વર્ગવાસ થયા હતા. વિજય રૂપાણીજીને પસંદ કરવાવાળા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ગુજરાત અને પૂરા દેશમાં છે જેના કારણે આ ઘટના બાદ તે તમામ લોકોને ખૂબ જ મોટો આઘાત પહોંચ્યો હતો. હાલ વિજય રૂપાણીજીની શ્રદ્ધાંજલિ સભામાં તેમની આત્માની શાંતિની પ્રાર્થના કરવા માટે હું સામેલ થયો હતો. શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વિજય રૂપાણીજીના પત્ની, તેમના પુત્ર અને તેમના પરિવારના અન્ય લોકોને મળ્યો અને મેં મારી સંવેદના વ્યક્ત કરી. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન વિજયભાઈ રૂપાણીની આત્માને શાંતિ આપે અને પોતાના ચરણોમાં સ્થાન આપે.